Skip to main content

"ગુડ્ડુ રંગીલા": જાતિવાદની થીયરી અને હિરોગીરીનું પ્રેક્ટીકલ


સુભાષ કપૂર દ્વારા નિર્દેશિત ૨૦૧૫ની ફિલ્મ "ગુડ્ડુ રંગીલા" હરિયાણા રાજ્યની ખાપ પંચાયત અને જાતિવાદની વાત લઇ ને આવે છે. બંને હીરો, ગુડ્ડુ અને રંગીલા, નીચી જાતિના છે, અને ગવૈયા તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પણ સાથે જ કોના ઘરમાં કેટલી મિલકત છે એની મુખબરી લુટારાઓ ને કરીને વધારાની આવક પણ ઉભી કરી લે છે. બીજી તરફ બાહુબલી નેતા બિલ્લુ પેહલવાન, જે શિવજી ના ભક્ત અને બ્રાહ્મણ છે, ખાપ પંચાયતના ઓર્ડર પર નીચી જાતિના પુરુષો સાથે પરણેલ ઉચ્ચ જાતિની દીકરીઓને સજા આપવાનું કામ કરે છે. અને ખાપ પંચાયતની સજા હોય છે યુગલનું મોત.

રંગીલાના આવી એક સઝાનો ભોગ બની ચુક્યો છે, એના મામા અને ગુડ્ડુના પિતાને બીલ્લુએ જાહેરમાં સળગાવી દીધા હતા. રંગીલાને પણ ગોળી વાગી પરંતુ બચી ગયો. આ કારણવશ રંગીલાને બિલ્લુ પાસેથી બદલો લેવો છે, અને એ બદલાની વાર્તા આ ફિલ્મ કરે છે. એક હીરો છે - રંગીલા, એક વિલન છે - બિલ્લુ. અને બીલ્લુંના વધથી વાર્તાનો અંત આવે છે.

જાતિવાદ વિષે હાલમાં કેટલીક સારી ફિલ્મો આવી છે, અને આ મુદ્દો એટલો મજબુત છે કે એના પર ઘણું સારું કામ કરી શકાય. પરંતુ સુભાષ કપૂરને મુદ્દા કરતા ફિલ્મ વધુ મહત્વની લાગી. અહી, વાતને સામાજિકમાંથી વ્યકતિગત બનાવી દેવામાં આવી. જાતિવાદને સમસ્યા તરીકે નહિ પરંતુ એક વ્યક્તિને સમસ્યા તરીકે મુકવામાં આવ્યો. ખાપ પંચાયત અને જાતિવાદી રાજકારણ સમસ્યા નથી. કારણ કે સામાજિક સમસ્યાની આડમાં અહી વ્યક્તિગત લડાઈ રજુ થઇ છે. બિલ્લુ પેહલવાનના મૃત્યુ સાથે ફિલ્મનો અંત થાય છે, જાણે કે એક વ્યક્તિના મૃત્યુ માત્રથી જ જાતિવાદની સમસ્યાનો અંત થઇ જવાનો હોય.

જો "નીચો" ગણાતો સમાજ એકઠો થઇ પોતાને થતા અન્યાય સામે અવાજ ઉઠાવે અને દોષીઓને સજા અપાવે તો એક મજબુત સામાજિક સંદેશ પહોંચે, પરંતુ અહી તો સમાજના નામ પર બે નાયક છે અને તેમને અહ્કાર પૂરો પડતા બીજા માંડ પાંચ લોકો છે. તદુપરાંત, હીરો પોતાનો બદલો ત્યારે જ લઇ શક્યા જયારે "ઊંચી" ગણાતી જાતિની હિરોઈનોએ તેમને સહકાર આપ્યો અને તેમની સાથે ખભાથી ખભા મિલાવીને લડી.

ફિલ્મનું સહુથી નબળું પાસું છે હિરોના પાત્રોની રજૂઆત. હીરો નીચી ગણાતી જાતિનું પ્રતિનિધિત્વ કરે છે. બંને નીચી જાતિના છે અને ગાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. અહિયાં સુધી ઠીક હતું, પરંતુ પછી તેમને અસામાજિક કામ કરતા દર્શાવાયા છે. આ નાનકડુ પાસું એવું સૂચિત કરે છે કે "નીચી" જાતિના લોકો કોઈને કોઈ અસામાજિક કાર્યોમાં સંડોવાયેલા હોય છે. અને તેથી જ તેમના સામાજિક બહિષ્કારમાં કશું ખોટું નથી.

એક સારી ફિલ્મ નાની-નાની બાબતોને સબળતા પૂર્વ રજુ કરવાથી બને છે. પરંતુ, જ્યાં પાયાના મુદ્દાને જ સમજવામાં ખામી હોય ત્યાં સારા અભિનેતાઓનો સારો અભિનય પણ ફિલ્મને સાચવી ન શકે.

#ગુડ્ડુ_રંગીલા  #ખાપ_પંચાયત #જાતિવાદ

Comments

Popular posts from this blog

ગુજરાતી ફિલ્મો : ‘કંકુ’, ‘ભવની ભવાઈ’ અને ‘ધાડ’ના સંદર્ભે

  આમ જોઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જૂની છે અને કેટલાય મહત્વના કલાકારો અને ફિલ્મો આપી ચૂકી છે. પરંતુ આજેય એ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ જ પાછળ દેખાય છે. અહીં , હું ત્રણ ગુજરાતી ફિલ્મો ‘ ભવની ભવાઈ ’ , ‘કંકુ ’ અને ‘ ધાડ ’ વિશે વાત કરીશ, અને ગુજરાતી ફિલ્મોનાં પટ પર તેમનાં મહત્વ વિશે વાત કરવાનો નાનકડો પ્રયાસ કરીશ. ભવની ભવાઈ (૧૯૮૦) કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ ભવની ભવાઈ ’ ૧૯૮૦માં પ્રદર્શિત થઈ હતી જે ધીરુબહેન પટેલના નાટક પર આધારિત હતી , અને જાતિવાદના મુદ્દા વિશે ખૂબ જ રસપ્રદ રીતે વાત કરે છે. આ ફિલ્મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. મારા માટે ફિલ્મનું સહુથી મહત્વનું દૃશ્ય શરૂઆતની ૬ સેકન્ડ્સમાં જ જોવા મળે છે; એ કહે છે, અસાઈત ઠાકોર અને બેર્તોલ બ્રેખ્તને સમર્પિત. આ એક ફ્રેમ ફિલ્મને ગુજરાતી અને વૈશ્વિક નાટ્યપરંપરા સાથે જોડી આપે છે. ‘ભવની ભવાઈ’ (દિ. મહેતા , ૧૯૮૦)       ફિલ્મ પોતાની વાત કહેવામાં ભવાઈ નાટ્યપરંપરાનો ઉપયોગ કરે છે, અને એક નવી જ નેરેટીવ પદ્ધતિ...

"ધુળકી તારી માયા લાગી": એક અવલોકન

ફિલ્મ “ ધુળકી તારી માયા લાગી ” રાઠવા સમાજની એક યુવતી , ધુળકી , ની વાત કરે છે . આ ફિલ્મ ‘ રાઠ ’ વિસ્તાર તરીકે ઓળખતા છોટાઉદેપુર , પાવીજેતપુર , નસવાડી , બોડેલી , વગેરે જેવા ગામડાંઓમાં ખૂબ સફળ થઇ હતી . આ વિસ્તારના સિનેમાઘરોમાં , જ્યાં ફિલ્મ ફક્ત ત્રણ દિવસ ચાલતી , આ ફિલ્મ મહિનાઓ સુધી ચાલી . પરંતુ , મારા કેટલાક માહિતીદાતાઓના મત અનુસાર આ ફિલ્મ રાઠવા સમાજ વિષે ન હતી . તો પછી આ ફિલ્મ કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ આટલી સફળ કેમ થઇ ? પ્રસ્તુત પેપર એના કેટલાક કારણો વિષે વાત કરશે , અને ફિલ્મમાં ‘ રાઠવા ’ ઓળખ કઈ રીતે ઉભી કરવામાં આવી છે તેના વિષે વાત કરશે . સામાજીક રીતે પછાત વર્ગની ઉપલા વર્ગ તરફની ગતિ જે ફિલ્મની મુખ્ય કથાનો ગર્ભીતાર્થ છે , જે ફિલ્મનું અન્ય પાસુ રજુ કરે છે . તદુપરાંત , આપણે ફિલ્મ અને સમાજમાં પ્રસ્થાપિત માલીક્વર્ગ અને પીડીતવર્ગ વચ્ચેના પારસ્પરિક સંબંધોને પણ જોઈશું . ***                 માણસ સહુથી પહેલા એક માણસ છે , ધર્મ , જાતિ , વંશ , બધું જ તેની માનવતા અને માનવધર્મ સામે ગૌણ છે . આવો સરસ સંદેશો રજુ કરતી...

રોલાં બાર્થ: સંકેત અને પ્રતિબદ્ધતા

* એમ.એ.ના અભ્યાસ દરમિયાન જાહેરાત પર શોધનિબંધ કરતો હતો ત્યારે મારા શિક્ષક તેમજ માર્ગદર્શક અજય સરવૈયાએ મને રોલાં બાર્થ (Roland Barthes) નું Mythologies પુસ્તક સૂચવ્યું, અને ત્યારથી શરુ થયો મારો રોલાં બાર્થ સાથેનો સંબંધ. બાર્થનું સંકેતવિજ્ઞાન પરનું કામ મારા રસનો વિષય હતું, જે આગળ જતાં મારાં બીજાં સંશોધનમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડ્યું. આજે પણ બાર્થનું કામ વિવિધ વિદ્યાશાખાઓ અને અભ્યાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અઢળક લખાણ તેમજ પ્રભાવ છતાં પણ “બાર્થીયન” કહેવાતા અભ્યાસીઓ કે શાખા જન્મી નથી. એનું એક મુખ્ય કારણ છે કે બાર્થ અલગ-અલગ અભ્યાસુઓ માટે અલગ-અલગ અર્થ ધરાવે છે, ઘણા માટે એ સંરચનાવાદી સંકેત-વિજ્ઞાની છે, તો ઘણા માટે એ અનુ-આધુનિકતાવાદી છે. એમનું કામ ફેશનની ટેગ-લાઈનથી લઈ ક્લાસિકલ સાહિત્ય સુધી વિસ્તરેલ છે. બાર્થના લેખનનું વિષયવસ્તુ એના સમય પ્રમાણે ખૂબ જ આધુનિક અને અલગ હતું. એમણે ફોટોગ્રાફીથી લઈ ફિલ્મો પર પણ લખ્યું; રેસલિંગ ફાઈટથી લઈ ક્લાસિકલ ડ્રામા, જાહેરાત, રાજકારણ, પેરીસ, આઇન્સ્ટાઇનનું મગજ, વગેરે. એમના કામમાં સંકેતવિજ્ઞાનના સિદ્ધાંત, સાહિત્યિક વિવેચન, ઇતિહાસને લગતું લેખન, મનોવૈજ્ઞાનિ...